બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળો પરથી પોલીસ બંદોબસ્ત ઉઠાવી લેવાની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : અબોલ પશુ જીવોને સરકારી સહાય મુદ્દે બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું આંદોલન અપેક્ષા મુજબ ઉગ્ર બન્યુ છે. સોમવારે કલેક્ટર કચેરીએ ધરણાં ઉપર બેસવા બાદ પણ કોઈ ર્નિણય ન આવતા મંગળવારે ગૌશાળા અને પાંજરાપોળના પશુઓને રોડ ઉપર લાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જોકે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પશુઓ રોડ અને હાઇવે ઉપર છોડે તે પહેલાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેથી પશુઓ છોડવા મામલે સંચાલકો અને પોલિસ વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યું હતું ત્યારબાદ બુધવારે જિલ્લાની તમામ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્ણ રિતે આંદોલન ચાલુ રાખવા અને પોલીસને હટાવી લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં અબોલ જીવોને સહાય મુદ્દે સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આંદોલન ઉગ્ર બનાવવા માટે અમુક જગ્યાએ પશુઓને માર્ગ ઉપર છોડી પણ દેવામાં આવ્યા હતા. તો અમુક જગ્યાએ પોલીસ અને સ્થાનિક આગેવાનોની સમજાવટને અંતે ગાયોને પરત ગૌશાળામાં લઇ જવાઇ હોવાનું સામે આવ્યુ છે. લોકડાઉન બાદ દાતાઓનું દાન બંધ થઈ જતા અને ચોમાસામાં ઘાસચારો પણ બગડી જતા સંચાલકો માટે અબોલ જીવો બચાવવા મુશ્કેલ થઈ ગયા છે તેમછતાં સરકારે પશુ દીઠ સહાય પણ બંધ કરી દીધી છે. જે સહાય મેળવવા સંચાલકોએ નાછૂટકે આંદોલન છેડયું છે છતાં સરકારે સહાય ચૂકવવાને બદલે ગૌશાળા અને પાંજરાપોળમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે જેથી સંચાલકો સહિત જીવદયાપ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. બુધવારે જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ડીસા ના. કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવાની વિનંતી સાથે પોલીસ બંદોબસ્ત પણ હટાવી લેવાની માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.