![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/પ્રથમ-તબક્કામાં-સારા-વરસાદથી-હેડ.jpg)
પ્રથમ તબક્કામાં સારા વરસાદથી બનાસવાસીઓને દાંતીવાડા, સિપુ અને તળાવો ભરાવાની આશ : દાંતીવાડા ડેમ 80 ટકા ખાલી
(અહેવાલ : પ્રવીણ ચૌધરી દાંતીવાડા)
બનાસકાંઠા જિલ્લામાં ચોમેર વાવણીલાયક વરસાદથી ખેડૂતો સહિત લોકોમાં ખુશાલી છવાઈ, દાંતીવાડા ડેમમાં પાણીની આવક નીલ : બનાસકાંઠા જિલ્લાના લગભગ બધા જ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નોંધાયો છે. પરંતુ રાજસ્થાનના ઉપરવાસમાં એટલે કે માઉન્ટ આબુ સહિત આજુબાજુના વિસ્તારોમાં કે જ્યાં વરસાદ પડતાં તેનું વરસાદી પાણી જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં આવે છે પરંતુ આ ક્ષેત્રોમાં વરસાદનું એટલું જોર ન હોવાથી હજુ સુધી જિલ્લાના સૌથી મોટા દાંતીવાડા ડેમમાં પાણીની કોઈ પ્રકારે આવક નોંધાઈ નથી.અને ડેમ 80 ટકા ખાલી છે.
વિલંબ બાદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વાત કરવામાં આવે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની.તો ચોમાસાની સીઝન શરૂ થતાં જ બનાસવાસીઓની નજર ડેમની સપાટી ઉપર મંડરાય છે. આ વખતે દાંતીવાડા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં વરસાદના ત્રણ જેટલા રાઉન્ડ થયાં છે. જેમાં ખેતી લાયક વરસાદ થયો હોવાનું અહીંના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે સાથે તેઓ આ વર્ષના ચોમાસા દરમિયાન તાલુકાના સીપુ અને દાંતીવાડા બન્ને ડેમ પાણીથી ભરાઈ જાય તેવી પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે.કારણ કે આ તાલુકાના પાંચથી સાત ગામોને બાદ કરતાં બાકીના બધા જ ગામો છેલ્લા અનેક વર્ષોથી ચોમાસાના જ ભરોસે નિર્ભર રહી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા બે વર્ષથી વિસ્તારમાં બાંધવામાં આવેલા તળાવો પર આશા બંધાઈ છે કે તેમનો વિસ્તાર સારા વરસાદમાં તળાવો ભરાય તો હરિયાળો બનશે.જો કે વરસાદની હજી શરૂઆત થઈ છે તેથી બનાસવાસીઓને પણ ભરપૂર વરસાદ થવા સાથે દાંતીવાડા, સિપુ ડેમ અને તળાવો ભરાવાની આશા છવાઈ છે.
ઉઘાડ બાદ વાવેતર શરૂ થશે : ખેડૂત દાંતીવાડા વિસ્તારના સ્થાનિક ખેડૂત જેન્તીભાઈ ચૌધરી જણાવે છે કે અમારા વિસ્તારમાં ઓલરેડી છેલ્લા દસ દિવસમાં ત્રણ રાઉન્ડ વરસાદ થયો છે જેમાં ચોમાસુ ખેતી કરવા એકદમ પૂરતો વરસાદ છે હવે થોડું કોરું કાઢે એટલે અમે વાવણીના કામમાં જોતરાવવાના છીએ. વધુમાં તેમણે ઉમેર્યું કે ભગવાન કરે અમારા સીપુ અને દાંતીવાડા બન્ને ડેમ પાણીથી છલોછલ થઈ જાય તો અમે એના રૂણી રહીશું.
દાંતીવાડા ડેમમાં પાણી કેટલું? સરકારી જાહેરાત મુજબ 15 જુનથી ચોમાસુ શરૂ થઇ ગયું છે પરંતુ હજુ દાંતીવાડા ડેમમાં પાણીની કોઈ આવક નોંધાઈ નથી એટલે કે ઉપરવાસમાં નહિવત વરસાદ નોંધાયો છે સાથે હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીનું લેવલ 565.20 ફુટ છે અને ટકાવારી જોવા જઈએ તો 19.27 ટકા પાણીનો માત્ર જથ્થો હયાત છે.એટલે કે ડેમ 80 ટકા ખાલી છે.