દાંતીવાડા, પાલનપુર અને ગઢ વિસ્તારમાં રવિ સિઝન પર સંકટ
વગર લેવાદેવાએ કરોડો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. હવે આને સિંચાઈ વિભાગની બેદરકારી કહેવી કે ન કહેવી ? આ વેડફાટને કારણે ભોગવવાનું તો આખરે ખેડૂતોએ આવશે. કેમકે આ વેડફાટને કારણે 11 હજાર હેક્ટર વાવેતરને નુકસાનની ભીતિ જોવાઈ છે. બીજી તરફ ભ્રષ્ટાચારની કેનાલને કારણે હેક્ટર વાવેતરમાં પાણી ન મળતા ખેડૂતોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ અને દાંતીવાડા ડેમના અધિકારીની બેદરકારીને કારણે આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દાંતીવાડા ડેમનો ગેટ ક્ષતિગ્રસ્ત હોવાથી જે કેનાલમાં જરૂર નથી ત્યાં પણ પાણી વહી રહ્યું છે. જ્યાં પાણીની જરૂરિયાત છે તે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. જેથી છેલ્લા આઠ મહિનાથી પાણી નથી મળતું. જેને લઇને પાલનપુર અને ગઢ પંથકમાં 11 હજાર હેક્ટર વાવેતરમાં ખેડૂતોના માથે સંકટ ઉભું થાય તેવી શક્યતા છે.
રવિ સિઝન માટે દાંતીવાડા, પાલનપુર અને ગઢ પંથકમાં ખેડૂતોની માગ પ્રમાણે દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાયું હતું. જો કે બે તબક્કામાં પાણીની માગ પૂરી થયા બાદ પાણી બંધ કરવાનું હતું. પરંતુ દાંતીવાડા ડેમનો ગેટ ક્ષતિગ્રસ્ત થવાને કારણે પાણી બંધ થઈ શક્યું નથી.