બનાસકાંઠામાં કોરોનાનો કહેર : એક જ દિવસમાં ૧૭ કેસ
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર જારી રહ્યો છે. મંગળવારે પણ એક સાથે ૧૭ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પાલનપુરમાં ૯, ડીસામાં ૪, વડગામ અને ધાનેરામાં ૨ – ર પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કોરોનાએ બેવડી સદી નોંધાવી છે. કુલ આંક ૨૧૧ પહોચ્યો છે. જ્યારે પાલનપુરમાં વધુ એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. અત્યાર સુધીમાં ૧૦ વ્યકિતના મોત નિપજી ચૂક્યા છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાતિલ કોરોના કહેર મચાવી રહ્યો છે. જ્યાં રવિવારે ૧૮ કેસ નોંધાયા હતા. સોમવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે કોરોનાનો વિસ્ફોટ થયો હતો. જ્યાં એક સાથે ૧૫ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. જેમાં પાલનપુરમાં ૯, ડીસામાં ૪, વડગામ અને ધાનેરામાં ૨ – ર કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરની શ્રધ્ધા સોસાયટી માં યુવક, શાસ્ત્રી નગરમાં વૃદ્ધ, કણોદર હાઈવેની સોસાયટીમાં યુવતી, ગઠામણ દરવાજા વિસ્તારમાં આધેડ – યુવતી, હરિૐ સોસાયટી વૃદ્ધ, સમર્પણ સોસાયટીમાં આધેડ, ન્યુ અમનપાર્ક સોસાયટીમાં યુવતી- યુવક, બેચરપુરામાં મહિલા, પાલનપુરના બાદર ગઢમાં આધેડ, ડીસા જોગકૃપા સોસાયટીમાં યુવતી, મોટીધાણીમાં યુવક, સહિત વડગામમાં બે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ધાનેરાના કૈલાસનગરમાં ર કેસ સામે આવ્યા છે. જેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ કોરેન્ટાઇન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન જિલ્લામાં કોરોનાએ બેવડી સદી પુરી કરી છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૧૧ પહોંચી છે.