પાલનપુરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં ગેરકાયદેસર બાંધકામના રાફડો ફાટ્યો છે. ત્યારે બ્રાહ્મણવાસ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા કોમર્શિયલ બાંધકામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં પાલનપુર કોલેજના પ્રોફેસરે પણ સોમવારે પાલિકા કચેરી બહાર મુંડન કરાવી અન્નજળનો ત્યાગ કરી ધરણા ઉપર બેસી આંદોલનની શરૂઆત કરતા ભારે ઉત્તેજના પ્રસરી
ગઈ હતી. પાલનપુર શહેરના બ્રાહ્મણવાસ વિસ્તાર માં રહેણાંક વિસ્તારમાં થઈ રહેલા કોમર્શિયલ બાંધકામનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. વર્ષોથી રહેતા સ્થાનિકો આ કોમર્શિયલ બાંધકામથી નારાજ છે. આ અંગે અગાઉ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જો કે, કોર્ટનો સ્ટે હોવા છતાં પણ કોમર્શિયલ બાંધકામ ચાલુ છે. જેને લઇને બ્રાહ્મણવાસ વિસ્તારમાં રહેતા પાલનપુર કોલેજના પ્રોફેસરે શૈલેશભાઇ જયસ્વાલએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ કોમર્શિયલ બાંધકામ નહીં રોકાય તો પોતે પાલનપુર પાલિકામાં આમરણાંત ઉપવાસ પર ઉતરશે. પાલનપુર નગરપાલિકા અને કલેક્ટરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ કોમર્શિયલ બાંધકામને રોકાવાયુ નથી. જેને લઇને પ્રોફેસર સોમવારે પાલનપુર પાલિકા બહાર મુંડન કરાવીને પાલનપુર નગરપાલિકામાં આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા. અને ન્યાય ન મળે ત્યાં સુધી અન્ન જળનો પણ ત્યાગ કર્યો છે. આ ઘટનાક્રમ ના પગલે ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી.