![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/12/08-8.jpg)
વડગામ મતક્ષેત્રના કમાલપુર તેમજ પીરોજપુરામાં ભાજપ- કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી
વડગામ વિધાનસભા ક્ષેત્રમાં પાલનપુર તાલુકાના કમાલપુર ગામે મતદાન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલો કરતા અફરા અફરી મચી ગયી હતી. સવારે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરો ઉપર હુમલો કરતાભાજપ ઉમેદવાર મણીભાઈ વાઘેલા અને એસપી સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડયો હતો. ત્યારે ભાજપના કાર્યકર આમિર મોહમ્મદ અમીન ઢુકાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ચારથી વધુ અસામાજિક તત્વોએ અમારા ભાજપના કાર્યકરો અને ચોધરી અસ્લમભાઈ ઈબ્રાહીમ પર હુમલો પર હુમલો કર્યો હતો. દરમિયાન વડગામના પીરોજપુરા ગામે કોંગ્રેસ દ્રારા બોગસ મતદાન કરાતું હોવાનું જણાતા ભાજપના આગેવાન મુસ્તાકભાઈ રાજેડીયા આ બાબતે ચૂંટણી અધિકારીને તપાસ કરવા નું કહેતા તેઓ ઉપર ઉશ્કેરાઈ કોંગ્રેસના જુનેદ ફાફડ અમરનાથ સહિતના ટોળાએ હીંચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓની આંગળી ઉપર બચકું ભરી ગડદાપાટુનો માર મારતા તેઓને વડગામ સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તેવું પીડિત મુસ્તાક રાજેડીયાએ જણાવ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલે છાપી પોલીસ સહિતનો કાફલો પીરોજપુરા પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. દરમિયાન સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ બન્ને જૂથો દ્રારા હુમલો તેમજ છેડતીની ફરિયાદ નોંધાવવાની મોડી રાત સુધી તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.