![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/પાલનપુરનો-સોની-વેપારી-01-hed.jpg)
છેતરપીંડી: પાલનપુરનો સોની વેપારી રૂ. 22.47 લાખના દાગીનાના પાર્સલ લઇ નાણાં ન ચૂકવી ફરાર
અમદાવાદના આઠ વેપારીઓ એ મોકલાવેલા સોના -ચાંદીના દાગીનાના પાર્સલ ડિલિવરી કરવા માટે આપ્યા હતા: પાલનપુરની આંગડીયા પેઢીના મેનેજર સાથે વિશ્વાસ કેળવી ઢાળવાસમાં સોના- ચાંદીની દુકાન ધરાવતાં વેપારીએ રૂપિયા 22.47 લાખના સોના- ચાંદીના દાગીનાના પાર્સલ લઇ તેના નાણાં ન આપી ફરાર થઇ ગયો હતો. આ અંગે તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વેપારી સામે ગૂનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
પાલનપુર ગુરૂનાનક ચોક હરિઓમ માર્કેટમાં મહેન્દ્રભાઇ પ્રવિણભાઇ કું આંગડીયા પેઢી આવેલી છે. આ પેઢી દ્વારા પાલનપુરમાં સોના- ચાંદીના દાગીના પહોચાડવામાં આવી રહ્યા છે. જ્યાં મેનેજર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતાં પાટણ તાલુકાના રૂવાવી ગામના બળવંતસિંહ ચમનસિંહ રાજપૂત શહેરના ઢાળવાસમાં યમુનાજી જવેલર્સ નામની દુકાન ધરાવતાં હેમંત જગદીશચંદ્ર સોની ઉપર વિશ્વાસ રાખી સોના- ચાંદી ના દાગીનાના પાર્સલની ડિલેવરી કરાવતાં હતા. જેમણે 27 જાન્યુઆરી 2024 થી 10 ફેબ્રુઆરી 2024 દરમિયાન અમદાવાદના વેપારીઓએ મોકલાવેલા રૂ. 22,47,670 ના સોના- ચાંદીના દાગીનાના પાર્સલ પાલનપુરમાં જુદાજુદા સ્થળોએ ડીલીવરી કરવા માટે આપ્યા હતા. જેના નાણાં પછી આપી જવાનું કહ્યું હતુ. જોકે, ચાર દિવસ પછી નાણાં લેવા માટે બળવંતસિંહે વેપારીને ફોન કરતાં તે સ્વિચ ઓફ આવ્યો હતો. ઢાળવાસની દુકાને ગયા તો દુકાનને તાળુ મારેલું હતુ. શોધખોળ કરવા છતાં હેમંત સોનીનો પત્તો મળ્યો ન હતો. પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતાં તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આંગડીયા પેઢી દ્વારા રૂપિયા એક લાખની કિંમતના પાર્સલ પેટે રૂપિયા 300 કમિશન ચૂકવાતું હતુ: હેમંત સોની વર્ષોથી પાલનપુરની આંગડીયા પેઢી સાથે સંકળાયીને સોના- ચાંદીના દાગીનાના પાર્સલ વેપારીઓને ડિલેવરી આપતો હતો. જેને પેઢી એક લાખના પાર્સલ પેટે રૂપિયા 300 કમિશન આપતી હતી. જેમાં પાર્સલ ઉપર લખેલા રૂપિયા ચૂકવે નહી ત્યાં સુધી પાર્સલ આપવામાં આવે નહી તેવો નિયમ છે. જોકે, હેમંત સોની ઉપર વિશ્વાસ રાખી તેને પાર્સલ આપ્યા હતા. જેના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો.