![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/17-25.jpg)
થરાદના સિધોતરા ગામે રથ પહોંચ્યો, ટી.બી.ના 23 અને સિકલસેલ એનીમિયાના 30 દર્દીઓનું સ્ક્રીનીંગ કરાયું
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ થરાદ તાલુકાના સિધોતરા ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માહભેર સ્વાગત કરાયુ . રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી, kyc અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
રથ દ્વારા ગામમાં કુલ 260 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 15 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 30 લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા. તેમજ નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી. બી. ના 23 દર્દીઓ અને સિકલસેલ એનીમિયાના 30 દર્દીઓ સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા.તેમજ 260 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.