ચાંદીપુરાને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા: પાલનપુર ખાતે બાળ રોગ નિષ્ણાંત તબીબો સાથે મિટિંગ
રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુર વાયરસે સરહદી બનાસકાંઠા જિલ્લામાં તરખાટ મચાવતા 5 કેસ નોંધાવાની સાથે 3 દર્દીઓના મોત નિપજતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રએ ચાંદીપુર વાઈરસ એનકેફેલાઈટીસ અટકાયતી પગલાંના ભાગરૂપે પાલનપુર ખાતે જિલ્લાના બાળરોગ નિષ્ણાંત તબીબો સાથે મિટિંગ યોજી હતી.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કરતા 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓ મોતને ભેટતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. જિલ્લામાં પગ પેસારો કરતા ચાંદીપુરા વાયરસને નાથવા માટે પાલનપુર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગે બાળ રોગ નિષ્ણાંત તબીબો સાથે મિટિંગ યોજી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. બી. સોલંકી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. જે. એચ. હરિયાણી અને એપેડમેલોજીસ્ટ ડૉ. ભારમલ પટેલે ઉપસ્થિત રહી ચાંદીપુરા વાયરસના કેસ વહેલી તકે શોધાય તેનું વહેલી તકે નિદાન કરી સત્વરે સારવાર મળે અને રોગચાળાને નાથવા માટેના અટકાયતી પગલાંઓ વિશે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.