![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/02-1.jpg)
ચૈત્રી નવરાત્રિનો અંબાજી મંદિરમાં વિધિવત પ્રારંભ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા હતા. જેને લઈને મા અંબાના મંદિરમાં અનેરો ભક્તિમય માહોલ સર્જાયો હતો. લાંબી લાંબી કતારોમાં આ માઇભક્તો નવરાત્રિના પ્રથમ દિવસે મા અંબાની એક ઝલક મેળવવા માટે આતૂર જોવા મળ્યા હતા. ત્યારે મા અંબાના દર્શન કર્યા બાદ માઇભક્તોએ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીનો જયઘોષ બોલાવી ધન્યતા અનુભવી હતી.બીજી તરફ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું . જેમાં અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા હતા. આ ઘટ સ્થાપનને જોવા માટે ભક્તો શિસ્ત બદ્ધ કતારમાં ઊભા રહીને આ અલૌકિક પળના સાક્ષી બન્યા હતા અને પરંપરાગત રીતે ભટજી મહારાજ દ્વારા અંબાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવત રીતે ઘટ સ્થાપન કરીને ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો. અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનમાં મંદિરના પૂજારીઓ અને મંદિરના અધિકારીઓ પણ પૂજા વિધિમાં હાજર રહી મા જગત જનનીનું સ્મરણ કર્યું હતું.
અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે, આજે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં ભક્તોને માતાજીના દર્શન સુગમતાથી થઈ શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ભક્તો માટે પાણી અને શેડની વ્યવસ્થા સાથે કોઈપણ અગવડતા ન સર્જાય તેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.