વાવના ગામડાઓમાં એરંડાનાં પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો
બનાસકાંઠાના સરહદી પંથકમાં દિન-પ્રતિદિન અવાર નવાર ખેડૂતો માટે વિકટ પરીસ્થિતિ ઉભી થતી હોય છે. 2015 અને 2017માં ભયંકર પૂરનાં કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. તે રીતે 2018નો દુષ્કાળ હોય અને 2022માં પણ સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ વાવેલાં પાકો પાણીમાં નષ્ટ થયાં હતાં. ત્યારે વાવનાં ધરાધરા, મોરિખા અને ડોડગામ ગામની સીમમાં ચોમાસામાં વાવેલાં એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં ઈયળો પડતાં ખેડૂતો પર વધુ એક સંકટ જોવા મળ્યું છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે, એક બાજુ વધુ વરસાદના કારણે ખેડૂતો પૂરતા પ્રમાણમાં વાવણી કરી શક્યા નથી.
ત્યાં જ્યાં એરંડાના પાકની વાવણી થઈ હતી. ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં ઈયળો પડતાં એરંડાનો પાક નષ્ટ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે અમારે દિન-પ્રતિદિન ખેડૂતો માટે નવુંને નવું સંકટ આવે છે. ત્યારે બહુ મોટા પ્રમાણમાં ઈયળો પડતા પાક નષ્ટ જવાના આરે છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોનો પાક બચાવવા માટે તંત્ર ગામડાંઓની મુલાકાત લઈ એરંડાનાં પાક માટે કંઈ વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. જો તંત્ર સહાયતા નહીં કરે તો આવનારા સમયમાં ઈયળો પાકનો નાશ કરી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેશે તેની ખેડૂતોને સતત ચિંતા સેવાઈ રહી છે.