ધાનેરાના રવિ ગામે બંધ મકાનમાં ઘરફોડ ચોરી
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકામાં ચાલુ માસ દરમિયાન સંખ્યાબંધ ચોરીના બનાવ સામે આવ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના રવિ ગામે વધુ એક બંધ મકાનમાં ચોરી થતા લોકોમાં ભય વ્યાપ્યો છે. રવિ ગામે રહેતા જયંતીભાઈ પુરોહિત કે જેઓ વ્યવસાય માટે નવસારી રહે છે. આથી રવિ ગામે આવેલ તેમનું મકાન બંધ રહે છે.જેથી આ બંધ મકાન તસ્કરોની નજરમાં આવતા તેને નિશાન બનાવી ઘરમાં ઘુસી લાખો રૂપિયાની ચીજવસ્તુઓની ચોરી કરી છે. જાેકે, સગા સંબધીઓએ જયંતીભાઈ પુરોહિતના ઘરનો દરવાજો ખુલ્લો જોતા તેઓએ મોબાઈલ દ્વારા જયંતીભાઈને જાણ કરી હતી. જેથી ગતરોજ નવસારીથી રવિ ગામે પોતાના વતને આવેલા જયંતીભાઈએ પોતાનું ઘર જોતા એક દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. ઘરમાં તમામ માલ સમાન વેરવિખેર હતો અને રૂમમેં પડેલી તિજોરીને તોડી અંદર પડેલા દાગીના ઈસમો ઉઠાવી ગયા હતા. સાથે કપડાં, વાસણ સહિતની વસ્તીઓને પણ સાથે લઈ ગયા હતા. આ મામલે ઘર માલિકે ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસે રવિ ગામે આવી ચોરી બાબતે તપાસ હાથ ધરી છે. જાેકે, ઘર માલિક જયંતીભાઈએ હાલતો અંદાજીત ચાર લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થયાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે.