![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/થરાદના-રાજસ્થાનના-03-HED.jpg)
થરાદના જમડાની ગુમ સગીરાનો મૃતદેહ મળી આવતાં ચકચાર ગામથી ૪૦ કિમી દુર નહેરમાં તરતો મળ્યો, બે યુવકો સામે શંકા
થરાદના રાજસ્થાનના સરહદે આવેલી નર્મદાની મુખ્ય નહેરમાંથી શનિવારે જમડા ગામની ધોરણ-10 માં અભ્યાસ કરતી સગીરાનો ગામથી 40 કિમી દૂર નહેરમાં તરતો મળ્યો હતો. જો કે ચાર દિવસ અગાઉ સગીરા ગુમ થતાં થરાદ પોલીસ મથકે સગીરાના પિતાએ બે શખસો સામે અપહરણ અને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ પણ નોંધાવી હતી.
થરાદના જમડા ગામની સગીરા 14 ફેબ્રુઆરીએ ગૂમ થઇ ગઇ હતી. આ અંગે સગીરાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી ગામની શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી અને તા.14 ફેબ્રુઆરીની રાત્રે પરિવાર સુતા બાદ સવારે પાંચેક વાગ્યે ભેંસ દોવા માટે જાગતાં પુત્રી જોવા મળી ન હતી. આથી આજુબાજુ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. જો કે તેણીના મોબાઇલમાં રહેલા કોલ રેકોર્ડીંગના આધારે ભરતભાઇ નરબતાભાઇ વણોલ (રહે.દુધવા,તા.થરાદ) અને ધેગાભાઇ માસેંગાભાઇ ધુમડા (રહે.લુણાલ) સાથે વાતચીત થતી હોવાનું જાણવા મળતાં શંકાના આધારે બંન્ને શખસો સામે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની વચ્ચે શનિવારે થરાદના રાજસ્થાનની સરહદે આવેલા રડકા ગામેથી નહેરમાંથી સગીરાનો તરતો મૃતદેહ પણ મળી આવ્યો હતો. થરાદ પોલીસે આ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.