![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/IMG-20200129-WA0335.jpg)
બનાસકાંઠાઃ સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડો, નહિ તો ઉપવાસની ચિમકી
રખેવાળ, બનાસકાંઠા
કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠાની સુજલામ-સુફલામ કેનાલોમાં પાણી છોડાવવા આમ આદમી પાર્ટી મેદાને આવી છે. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ દ્રારા ચિમકી ઉચ્ચારાઇ છે કે, જો આગામી ૩ દિવસમાં સુજલામ-સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં નહિ આવે તો ૪/૫/૨૦૨૦થી અન્નનો ત્યાગ કરવામાં આવશે. તેમની સાથે બનાસકાંઠા આપના કાર્યક્રરો પણ ઉપવાસમાં જોડાશે તેવુ તેમણે જણાવ્યુ છે.
બનાસકાંઠા જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કેનાલોમાં પાણી છોડવાને લઇ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. કુદરતી આફતો અને તીડ આક્રમણને કારણે ખેડૂતો પાયમાલ થયેલા છે. બોર પણ ફેલ થયા હોવાથી વધુ મુશ્કેલી ના સર્જાય તે માટે સુજલામ સુફલામ્ નહેર તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેનાલ ચાલુ થાય તો પાણીના તળ જળવાઈ રહે તેમ છે. જો તેમ થાય તો ખેડૂત પાયમાલ થતો બચે અને તેનો ઉનાળુ પાક બચી જાય તેમ છે. જેને લઇ ‘ આમ આદમી પાર્ટી ‘ ગુજરાત દ્રારા નાયબ મુખ્યમંત્રી સહિતનાને વિનંતી કરી છે કે, જગતના તાત ખેડૂતોને બચાવવો હોય તો સુજલામ સુફલામ્ કેનાલ સત્વરે દિન ૩માં ચાલુ કરવામાં આવે.
આમ આદમી પાર્ટી દ્રારા ચેતવણી આપવામાં આવી છે. તેમણે જણાવ્યુ છે કે, આગામી દિન-૩ માં સુજલામ સુફલામ્ કેનાલ ચાલુ કરવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ભેમાભાઇ આર.ચૌધરી (ઉપાધ્યક્ષ પ્રદેશ-જસારા તા. લાખણી,જી.બ.કા.) રમેશભાઈ કે. નાભાણી પ્રભારી બ.કા/સા.કા,સરસ્વતી પાર્ક, અંબિકા વે-બ્રીજની પાસે, ડીસા), ઈશ્વરભાઈ કે. દેસાઈ પ્રમુખ બ.કા.(મુ.વડાવલ તા.ડીસા જી.બ.કા) અને ડો. દેવેન્દ્રભાઈ ચૌહાણ, ઉપાધ્યક્ષ બ.કા.(મુ.પો સુંઢા.તા.પાલનપુર,જી.બ.કાં) સહિતના કાર્યકરો તેમના નિવાસ સ્થાને ૪/૫/૨૦૨૦થી સમય સવારે ૧૦ કલાકે ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારાઇ છે.