બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત : મૃત્યુ આંક પાંચ થયો
રખેવાળ ન્યુઝ ૫ાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી વધુ એક દર્દીનું મોત નિપજતાં મૃત્યુ આંક ૫ થયો છે. શંકરભાઇ એચ.પરમાર નામના દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ નામની મહામારીએ બનાસકાંઠા જિલ્લામાં પણ હાહાકાર મચાવી દીધો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારીને પગલે સેમ્પલો લેવાની કામગીરીમા પણ ઢીલાશ થતાં પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ત્યારે સેમ્પલો ન લેવાતા અને ટેસ્ટ ન થતાં જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધે અને પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ વચ્ચે લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. દરમિયાન આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી શંકરભાઈ એચ.પરમાર નામના વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. આ દર્દી ડીસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. દરમિયાન તેમની તબીયત લથડતા તેઓને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તેમના પરિવારજ નોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આમ, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૦૬ પોઝિટિવ કેસો નોંધાયા છે. જે પૈકી મૃત્યુ આંક ૫ એ પહોંચ્યો છે.
Tags banskantha Deesa