અંબાજી મંદિર નજીક અજય માતા મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ અને નવચંડી યજ્ઞ યોજાયો
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માના ધામ અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. મા જગતજનની અંબાથી કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં અનેકો ધાર્મિક પ્રસંગો અને ઉત્સવો ધૂમધામથી મનાવવામાં આવતા હોય છે. અંબાજીમાં અનેકો નાના-મોટા બીજા મંદિરો પણ આવેલા છે. અંબાજી મંદિર નજીક મા અજય માતાનું મંદિર પણ આવેલું છે.
વિજયની દેવી મા અજય માતાનું મંદિર અંબાજીમાં માનસરોવર નજીક આવેલું છે. આજે અજય માતાનો જન્મદિવસ છે. ત્યારે ભક્તોએ આજે માતાજીના મંદિરને વિશેષ શણગાર કર્યો હતો. આજે માતાજીના મંદિરમાં આજે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. તો સાથે સાથે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. માતાજીના જન્મદિવસ નિમિત્તે અજય માતાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને વિશેષ પૂજા અર્ચના સાથે માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો.