![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/પૂનમના-પવિત્ર-દિવસે-03.jpg)
અંબાજી : લાખોની ભાવિક ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઉમટી
પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની “અખંડ જ્યોત”માંથી જ્યોતનો અંશ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવી હતી. ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી.
ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે “મહાઆરતી” કરવામાં આવી હતી. સમગ્ર અંબાજી નગરમાર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઇ અંબાજી નગરની નગરયાત્રા નીકાળવામાં આવી હતી. ભાદરવી પૂનમ જેવા મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો, અનુપમ કલાત્મક રથ, ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો જેના દર્શન માટે પગપાળા આવે છે, એવી જ રીતે મા અંબાના દર્શન કાજે લાખોની ભાવિક ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઉમટી પડે છે.
પોષી પુનમની શોભાયાત્રા દરમ્યાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો. આ માટે જ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે. આ પૂનમને શાકમ્બરી પૂનમ પણ કહે છે. કેમ કે, આ દિવસે જમાં ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યાં હતા. અંબાજી ધામના માર્ગો પર ઠેર ઠેર અંબાજી નગરજનો દ્વારા શોભાયાત્રાના સ્વાગત સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો યાત્રામાર્ગ પર સતત સેવા કરતા હોય છે. ડીજે બેન્ડ અને નાસિક ઢોલના સંગીતના તાલે લોકો નાચતા ગાતા, ગરબે રમતા હર્ષોલ્લાસ મનાવતા હતા.