ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ડીસામાં ભાજપ કાર્યકરોએ આતશબાજી કરાઈ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરો દ્વારા 41 દિવસ અગાઉ મોકલવામાં આવેલા ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ સાથે દેશભરમાં આનંદ ઉલ્લાસની લાગણીઓ છવાઈ ગઈ છે. ત્યારે ડીસામાં પણ ચંદ્રયાનના સફળ લેન્ડિંગની સાથે જ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોએ આતશબાજી ઉજવણી કરી હતી.ઇસરો દ્વારા છોડવામાં આવેલ ચંદ્રયાન 3 એ આજે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. સવારથી જ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે દેશ-વિદેશમાં હોમહવન, પૂજા, સામૂહિક આરતીઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી. ચંદ્રયાનના સફળ લેન્ડિંગની પળો નું વિશ્વભરમાં લાઈવ-ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચંદ્રયાનનું લેન્ડિંગ થતા જ ઈસરોમાં વૈજ્ઞાનિકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેની સાથે જ દેશભરમા અનેક જગ્યાએ આતશબાજી કરવામાં આવી હતી.
ત્યારે ડીસામાં પણ ભાજપ કાર્યકરો અને આગેવાનોએ સાંઈબાબા મંદિર આગળ આતશબાજી કરી ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં કાર્યકરોએ તિરંગા સાથે ભારત માતાકી જય… વંદે માતરમના નારા સાથે એકબીજાના મોઢા મીઠા કરાવી આ ગર્વની પળોને ઉજવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત નગરસેવકો, ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા