ગૌશાળાઓને ત્રણ મુદ્દે સહાય ચુકવવાની સંચાલકોની માંગ
રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી વચ્ચે અબોલ પશુ જીવોને બચાવવા ગૌશાળાઓના સંચાલકોએ આંદોલન છેડયું છે ત્યારે બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોનો રોષ ઠારવા ભાજપના દિગ્ગજો નેતાઓએ સંચાલકો સાથે બેઠક કરી હતી. આજે ટેટોડા ગૌશાળા ખાતે સંચાલકો સાથેની બેઠકમાં ડીસા ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૫૦ થી પણ વધુ ગૌશાળા સંચાલકો હાજર રહ્યા હતા. આ દરમ્યાન સંચાલકો સાથે ૩ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની ટેટોડા ગૌશાળા ખાતે આજે ૧૫૦ થી વધુ ગૌશાળા સંચાલકોની મીટીંગ મળી હતી. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડિસેમ્બર સુધી સહાય આપવા, પાંજરાપોળને ૧૦૦ કરોડ આપ્યા તે રીતે ગૌશાળાને પણ આપવા અને પશુ દીઠ સહાય રૂ.૨૫ થી વધુ આપવામાં આવે તે ત્રણ મુદ્દાને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંચાલકોએ સહાય માટે ત્રણ મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી પરંતુ તાજેતરમાં સરકારે જાહેર કરેલી સહાય સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે જાગૃત ધારાસભ્ય શશીકાંત ભાઈ પંડ્યા અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ સરકારના મધ્યસ્થી રૂપે ગૌશાળાના સંચાલકો સાથે ટેટોડા ખાતે બેઠક પણ યોજી તેમની રજુઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી સાથે આંદોલનનો સુખદ અંત આવશે તેમ પણ જણાવ્યું હતું.