પાલનપુરની સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ 9 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલમાં ખસેડાઈ
પાલનપુર સિવિલ હોસ્પીટલ કેમ્પસમાં ચાલતી સરકારી નર્સિંગ કોલેજમાં 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાત્રીનું ભોજન આરોગ્યા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ અસર થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લાની સરકારી નર્સરી કોલેજની 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીઓએ ગઈકાલ રાત્રે હોસ્ટેલની અંદર બટાકાનું શાક અને રોટલી, ખીચડી અને કઢી ખાધેલી હતી. ત્યારબાદ સવારે તેમને ઝાડા-ઉલટી અને તાવ આવવાનો શરૂ થયો હતો. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, 10માંથી એકની તબિયતમાં સુધારો થતા તેને હોસ્ટેલ ખાતે મોકલવામાં આવી હતી, જ્યારે 9 વિદ્યાર્થિનીઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે.
આ અંગે બનાસ મેડિકલ સુપ્રીટેન્ડટ ડોક્ટર સુનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સરકારી નર્સિંગ કોલેજના સ્ટુડન્ટમાંથી 10 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાંથી 9 સ્ટુડન્ટને દાખલ કરવામાં આવી છે. એક સ્ટુડન્ટને સારુ હોવાથી તેમને જવા દેવામાં આવ્યાં છે. ગઈકાલે આ વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની અંદર બટાકાનું શાક, રોટલી, ખીચડી અને કડી ખાધી હતી. ત્યારબાદ સવારે તેમને ઝાડા, ઉલટી અને થોડો તાવ આવવાનું ચાલુ થયું હતું. અત્યારે 9 વિદ્યાર્થિનીઓની સારવાર આપવામાં આવી રહી. બધી વિદ્યાર્થિનીઓની તબીયત અત્યારે સારી છે, કોઈ સિરિયસ નથી.