![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/Rakhewal-24-scaled.jpg)
ધાનેરા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત
(રખેવાળ ન્યૂઝ)લાખણી, ધાનેરા રેલ્વે પુલ પૂરો થતા થરાદ હાઇવે પર સ્કોર્પિયો ગાડી ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી હાઇવે વચ્ચેના ડીવાઇડર તેમજ હાઇવે નજીકની દુકાનોના શટર સાથે ટકરાતા ગાડીમા સવાર ૭ માંથી ૩ નાં ઘટના સ્થળે મોત થયા હતા. જે અકસ્માત એટલો ભયંકર હતો કે તેનો અવાજ સાંભળીને લોકો આવી ગયા હતા અને ઘાયલોને ખાનગી વાહન તેમજ ૧૦૮ મોબાઈલ વાનની મદદથી સારવાર માટે લઈ જવાયા હતા. આ સિવાય ધાનેરા પોલીસમથકે વીરચંદભાઈ ઠાકોર નામના વ્યક્તિએ ફરિયાદ આપી તેમાં જણાવ્યું છે કે, તેમનો પુત્ર પોતાના મિત્રો સાથે સવારે રાજસ્થાન રાજ્યમા આવેલા સુંધામાતાએ દર્શન માટે જઈ રહ્યો હતો. તેવા સમયે ધાનેરા-થરાદ રોડ પર ગાડીચાલકે કાબુ ગુમાવતા અકસ્માતમા ૩ના મોત થયા છે.
જેમાં ડીસા તાલુકાના પમરૂ ગામના મૃતક પ્રહલાદભાઈ વીરચંદભાઈ ઠાકોર, ચેહરાભાઈ પોપટભાઈ ઠાકોર સાથે ડીસા તાલુકાના વરણ ગામના મુકેશસિંહ ઉર્ફે બકુભા મંગળસિંહ દરબારનું અકસ્માતમા ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ગાડીમા સવાર અન્ય ચાર ઇસમોને ગંભીર ઈજાઓ થઈ છે જેમાં ગાડી ચાલક જગદીશ મફાભાઈ રબારી, સુરેશ વેનાભાઈ ઠાકોર, દિનેશજી ચતુરજી સોલંકી, શક્તિભા મેરૂભા દરબાર (રહે.ડીસા તા,વરણ)ને ધાનેરા તેમજ ડીસા ખાતે સારવાર માટે લઇ જવાયા છે. આમ ગાડીની ઝડપ વધુ હોવાના કારણે હાઇવે નજીક આવેલ દુકાનો માલિકોને પણ ભારે નુકશાન થવા પામ્યું છે.
આ સિવાય શાકભાજીની દુકાન ચલાવતા દુકાનદારની લોખંડની જાળી સાથે નજીકની મેડિકલ તેમજ ગાદલાની દુકાનના શટર સાથે ગાડીની ટક્કર થતા દુકાનમા પડેલ સામાન અને ફર્નિચરને ભારે નુકશાન થયું છે. આમ આ સમગ્ર ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર સહિત પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી ગાડીને હાઇવે પરથી ખસેડી હાઇવેને ખુલ્લો કરવામા જિલ્લા ટ્રાફિકના રમેશભાઇ પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવ્ય હતા.
આ અકસ્માતના પગલે એફએસએલની ટીમે પણ જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. જેમાં દુકાનદારોને થયેલા નુકશાનને લઈને પણ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ત્રણ દુકાનમા રૂ.૨.૬૦ લાખનું નુક્સાન થયુ હોવાનું જાણવા મળ્યું છે. જે મામલે દુકાનમાલિકોને પોતાની નુકશાનીનું વળતર મળે તે દિશામા પણ તપાસ હાથ ધરાઇ છે.
અકસ્માતના કેસમાં ગાડીમાંથી છરા, લાકડી ,ધારિયું પોલીસની પ્લેટ સહિતની વસ્તુઓ મળી આવી હતી. ત્યારે તેઓ જે વિજિલન્સના ફોલ્ડરિયાનું કામ કરતા હતા તેવું જાણવા મળ્યું હતું. પરંતુ અંદર બેઠેલાના જવાબ પ્રમાણે આજે ગુરુપૂર્ણિમા હોઈ સુંધામાતા દર્શનાર્થે જતા હતા.