ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું લોકપર્ણ કરાયું
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું
સીમા પરથી એક સાથે 100 નવીન બસોનું લોકાર્પણએ અલૌકિક ઘટના:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
ગામે ગામ બસની કનેક્ટિવિટી વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ:-ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
અત્યાર સુધીમાં રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો લાભ નાગરિકોને મળ્યો છે।
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
અધ્યક્ષ તેમજ ગૃહમંત્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી. આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં વધારો થશે. તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનશે.
રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. “સલામત સવારી એસ ટી અમારી” આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે. રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસ.ટી.ની સુવિધા સરળતાથી પહોંચી શકે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાપર્ણ કાર્યક્રમ દ્વારા 1725 નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે.