બનાસકાંઠા જિલ્લામાં ૧ વર્ષમાં ૫૭૦ બાળકોનાં મોત
રખેવાળ ન્યુઝ પાલનપુર
આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા થતા કરોડો રૂપિયાના આંધણ વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ બાળ મૃત્યુદરનો ગ્રાફ ચિંતાજનક હદે વધી રહ્યો છે. છેલ્લા ૯ માસમાં જિલ્લામાં ૫૭૦ બાળકો મોતને ભેટ્યા છે. ત્યારે બાળ મૃત્યુદર માટે આરોગ્ય વિભાગમાં સ્ટાફની ઘટ સહીત કુપોષણ, અંધશ્રદ્ધા અને નિરક્ષરતા પણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ધર્મેન્દ્ર ફેન્સીના જણાવ્યા મુજબ એપ્રિલ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં જિલ્લામાં ૫૭૦ જેટલા બાળકો મોતને ભેટયા છે. સી.એચ.સી અને પી.એચ.સી ની કથળતી જતી હાલતને લઈને બાળ મોતનું પ્રમાણ વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ડોક્ટરોની ઘટ ને લઇને આરોગ્ય વિભાગ ચિંતિત બને તે પણ જરૂરી બન્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ૫૭૦ જેટલા બાળકો મોતને ભેટયા છે. આઠ માસમાં પ્રસૂતિ દરમિયાન અને પેટીમાં રાખેલા બાળકો ના મોત નિપજ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ છતાં બાળ મોતનો ગ્રાફ વધ્યો છે.આદિવાસી વિસ્તારમાં કુપોષણને લઇ આરોગ્યની કરોડોની ગ્રાન્ટ આરોગ્યક્ષેત્રે ખર્ચાય છે. છતાં પણ બનાસકાંઠામાં બાળ મરણનું પ્રમાણ વધ્યું છે. જોકે ગત વર્ષે બાળ મૃત્યુ આંક ૭૩૨ હતો. જેની સરખામણીએ આ વર્ષે બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનો દાવો કરતા આરોગ્ય અધિકારી ડા. મનીષ ફેંસીએ જણાવ્યું હતું કે, જિલ્લો મોટો છે. અને જન્મ દર પણ વધુ હોઈ મૃત્યુનો આંકડો મોટો લાગે તે સ્વાભાવિક છે.
દરમિયાન, આરોગ્ય વિભાગ ખાનગી ડોક્ટરોની મદદ લેશે પરંતુ વિસ્તારની દૃષ્ટિએ મોટો અને અંતરિયાળ બનાસકાંઠામાં આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં ન પહોંચી હોવાના કારણે આ પરિસ્થિતિ થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચોંકાવનારી વાત એ છે કે બનાસકાંઠા માં ૧૨૫ પી એચ સી અને ૨૬ સી. એચ.સી હોવા છતાં ગાયનેક ડોક્ટરો માત્ર ૩ છે. જ્યારે પીડીયાટ્રીક ડોક્ટરો પણ ત્રણ છે. અને ૨૬ સી.એચ.સી વચ્ચે મુખ્ય તબીબી અધિકારી માત્ર ૩ જ છે. મહેકમની ઘટ કહો અથવા તો સરકારની કમજોરી કહો ૨૬ સી.એચ. સી વચ્ચે માત્ર ત્રણ ડોક્ટર હોય ત્યારે સ્વાભાવિક છે કે બાળ મરણનું પ્રમાણ વધે ડોકટરની ઘટ હોવાથી આરોગ્ય ની સુખાકારીમાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે જેને લઇને માત્ર ને માત્ર સરકારની આરોગ્ય નીતિ જવાબદાર હોવાનું પ્રાથમિક દૃષ્ટિ એ જાણવા મળી રહ્યું છે.
અહેવાલ : સંજય જોષી