પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો રકાસે
રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના પ્રમુખ સામે કોંગ્રેસના ૧૭ સભ્યોએ સપ્તાહ અગાઉ અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. જે અંગે પાલિકાના સભાખંડમાં ખાસ સભા યોજવામાં આવી હતી. જેમાં શાસક પક્ષ ભાજપના સભ્યોની આશ્ચર્યજનક ગેરહાજરી વચ્ચે વિપક્ષ કોંગ્રેસ જરૂરી બે તૃતિયાંસ બહુમતિ પુરવાર ન કરી શકતા અવિશ્વાસની દરખાસ્તનો કરુણ રકાસ થયો હતો. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ૧૭ સદસ્યોએ ગત શુક્રવારે ભાજપના પાલિકા પ્રમુખ અશોક ઠાકોર સામે પાલનપુર નગરપાલિકાનો વહિવટ ખાડે ગયેલ છે. અને પાલિકામાં રાજીવ આવાસ યોજના અને શૌચાલયમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ છે. પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં એક તરફી કાર્યસૂચી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર બિન બંધારણીય રીતે લખી લેવામાં આવે છે. અને મનસ્વી રીતે સામાન્ય સભા આટોપી લેવામાં આવતી હોવા સહીત ના કારણો આગળ ધરીને ચિફ ઓફિસર સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જેના પગલે ગુરૂવારે ખાસ સભા યોજવામાં આવી હતી. ઉપપ્રમુખ હેતલબેન રાવલ, ચિફ ઓફિસર એસ. એન. પટેલની ઉપસ્થિતિમાં વંદે માતરમના ગાનથી સભાની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ અવિશ્વાસની તરફેણમાં મત આપવાનું કહેવામાં આવતાં કોંગ્રેસના હાજર રહેલા ૧૬ સદસ્યોએ આંગળી ઉંચી કરી હતી. આથી તેઓ બહુમતી પુરવાર ન કરી શકતાં ચિફ ઓફિસરે ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત ખારીજ જાહેર કરી હતી.