ડીસા પંથકમાં લોકડાઉન દરમિયાન ત્રણ હજાર વૃક્ષ ઋષિને નવજીવન
રખેવાળ ન્યુઝ ડીસા :સરહદ અને રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠાના ડીસા પંથકમાં વર્ષોથી દેશી વિરપ્પનનો દ્વારા લીલા વૃક્ષની કત્લેઆમ કરવાનો શીલશિલો અવરીત ચાલી રહ્યોં છે. શિયાળો હોય કે ઉનાળો વહેલી સવારે ડીસાના રેલવે સ્ટેશનથી માર્કેટયાર્ડ જવાના માર્ગો ઉપર ૨૦ થી વધુ લીલા વૃક્ષ ભરેલા ટ્રેકટર અને ઉન્ટલારીઓનો ખડકલો નિયમિત જોવા મળે છે. ડીસામાં આવેલી સો મિલોના માલિકો દ્વારા ભાડૂતી માણસો દ્વારા રાત્રીના અંધકારમાં ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આડેધડ લીલાછમ વૃક્ષ કાપી અહીં લાવવામાં આવે છે અને ત્યારબાદ પાણીના મુલે તેની ખુલ્લામાં હરાજી થાય છે. સતત આ કુપ્રવૃત્તિથી દિન પ્રતિદિન ડીસા પંથકમાં લીલાછમ વૃક્ષનો સોથ વળી રહ્યો છે ત્યારે અકુદરતી રીતે આવેલી કોરોના મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયું છે. આમ તો લોકડાઉન માનવીઓ માટે દુઃખદ બાબત છે પણ પ્રકૃતિ માટે આશીર્વાદ સમાન છે. લોકડાઉનના આ ૪૮ દિવસ દરમિયાન એક આનંદ દાયક બાબત એ બની છે કે લોકડાઉનના પગલે દેશી વિરપ્પનો દ્વારા કરવામાં આવતી વૃક્ષ નારાયણની કત્લે આમ પર બ્રેક લાગી છે. એક અંદાજ મુજબ માત્ર ડીસા તાલુકા વિસ્તારમાં જ રોજના સરેરાશ ૩૦ થી વધુ ટ્રેકટર, ટેમ્પા, ટ્રક ભરીને લીલા કાપેલા વૃક્ષો લાટીઓમાં આવતા હતા જે હાલ સંપૂર્ણ બંધ છે. તે મુજબ અંદાજે માત્ર ડીસા તાલુકામાં ૩૦૦૦ થી વધુ વૃક્ષઋષિનું કટિંગ થયું નથી તો અંદાજ લગાવો કે લોકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં કેટલા વૃક્ષઋષિ બચી જવા પામ્યા હશે….!
પ્રકૃતિના સંહારના કારણે સમગ્ર વિશ્વ આજે તેના માઠા પરિણામ ભોગવી રહ્યું છે. કોરોના દ્વારા કુદરતે તેનો સાક્ષાત્કાર કરાવી દીધો છે ત્યારે લોકડાઉન બાદ વૃક્ષ છેદન જેવી પ્રકૃતિને હણતી કુપ્રવૃતિઓ સદંતર બંધ થાય તે માનવ હિત માટે આવશ્યક છે.
Tags Deesa