ડીસામાં ઠાકોર સમાજના લગ્ન – સગાઇ પ્રસંગે હવે ડીજે નહીં વગાડી શકે
ઠાકોર સમાજના સામાજીક બંધારણમાં શિક્ષણને મહત્વ અપાયું
રખેવાળ ન્યુઝ ભીલડી
હાલમાં આધુનિક યુગમાં શિક્ષણ નો અભાવ, જુના રિત રીવાજો અને દેખાદેખીના કારણે અનેક પરિવારો સામાજીક પ્રસંગો સાચવવા દેવાના ડુંગર નીચે ડૂબી જાય છે. ત્યારે કુરિવાજોમાંથી બહાર આવી શિક્ષણનો વ્યાપ વધારી અન્ય સમાજ ની સાથે કદમ મિલાવતો થાય તે માટે ડીસા ખાતે ઠાકોર સમાજ દ્વારા સામાજીક બંધારણ બનાવવામાં આવ્યું છે.
બનાસકાંઠા જીલ્લામાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતાં ડીસા તાલુકાના ઠાકોર સમાજમાં જનજાગૃતિ આવે અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા જૈન વિહાર ધામ ડીસા ખાતે ઠાકોર સમાજના વડીલો, યુવાનો અને બુદ્ધિજીવીઓની ઉપસ્થિતિમાં એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તમામ સારા, નરસા પ્રસંગોમાં કેફી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મરણ પ્રસંગમાં ઓઢામણા અને બાળકોની ઢુંઢ વખતે કસુંબા પ્રથા પર પાબંધી, લગ્ન, મરણ, મામેરા જેવા પ્રસંગોમાં પણ સમય અનુરૂપ મોટા સુધારા કરવામાં આવ્યાં છે. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. એટલુંજ નહીં પણ દરેક દીકરા દીકરીઓને ગ્રેજ્યુએશન સુધીનો ફરજીયાત અભ્યાસ કરાવવો અને નાની ઉંમરમાં થતા લગ્ન પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.અને આગામી તા.૫ મી તારીખથી ઠાકોર સમાજ ડીસા તાલુકામાં શિક્ષણ રથનો પ્રારંભ રામસણ મુકામેથી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.