વાવમાં ૨૪ કલાકમાં બે કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં, ખેડુતો ચિંતિત
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બે કેનાલમાં ભંગાણની ઘટનાઓ સામે આવી છે. જેમાં વાવ તાલુકાના કુંડળીયા અને અરજણપુરા ગામની કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેનાલમાં ગાબડું પડતાં ખેતરોના ઉભા પાક ઉપર પાણી ફરી વળ્યુ હતુ. સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતી બનાવાયેલ કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકમાંથી પસાર થતી અરજણપુરા ગામની માઈનોર કેનાલમાં ૫૦ ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘુસ્યા છે, તો બીજી તરફ કુંડળીયા ગામની ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘુસતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યુ છે. આ મામલે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારથી કાર્યવાહી કરવામાં આવતી નથી.