![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/552658b086a-2e53-4d96-8c75-1d8872e3e274.jpg)
ઈકબાલગઢ ગ્રામ પંચાયત તલાટીની તાત્કાલીક બદલી થતાં લોકોમાં તર્કવિતર્ક
રખેવાળ ન્યુઝ ઈકબાલગઢ : બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ માં ૪૦ વર્ષથી અવારનવાર દબાણ મુદ્દે ટ્રાફીકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો ત્યારે ૪૦વર્ષથી સતાવતી દબાણ મુદ્દેની સમસ્યાને ઉકેલવા ઈકબાલગઢ ગ્રામ પંચાયત તલાટી મંત્રીએ દબાણ ઝુંબેશ ઉપાડી દબાણો તોડી પાડયા હતા. જેમાં ઈકબાલગઢ રેલ્વે ફાટકથી લઈને બજારની અંદર સુધી દબાણો દૂર કરાયા હતા.જોકે દબાણ તોડી પાડવામાં સફળ રહેલા તલાટીની બદલી કરી દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયું છે. ઇકબાલગઢ ગ્રુપ ગામ પંચાયતમાં ૭ ફેબ્રુઆરીનાં દિવસે જિલ્લા પંચાયત દબાણ શાખામાં ફરજ બજાવતા સુરેશભાઈ મિસ્ત્રીને તલાટી તરીકે ફરજ પર મુકવામાં આવ્યા હતા અને તારીખ ૧૦-૧૧ આમ બે દિવસ દબાણ ઝુંબેશ હાથ ઘરી અંદાજે ૪૦ વર્ષથી તંત્ર માટે માથાના દુખાવા સમાન બનેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે બાકીના દબાણો તોડવાનો કાર્યક્રમ પોલીસ બંદોબસ્તના મળતા મોકુફ રાખવામાં આવ્યુ હતું. ટૂંક જ સમય બાદ તલાટી સુરેશભાઈ મિસ્ત્રીની બદલી કરી દેવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયું છે. ટીડીઓ બળવંતસિંહ રાજપુતે આ અંગે જણાવ્યું હતું કે ઇકબાલગઢ પંચાયતના તલાટીની બદલી વહીવટી હીત માટે વહીવટી બદલી થરાદ તા.પ.ખાતે કરવામાં આવી છે. જયારે બીજી બાજુ પંચાયત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આગામી દિવસોમાં બાકી રહી ગયેલા દબાણો આવનારી તારીખ ૨ થી ૩ રોજ દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે ચોપડે ચડેલા જાહેર માર્ગ નિયમ મુજબ ખુલ્લો થયેલ નથી તે ખુલ્લો કરવામાં આવશે. હવે જોવુ રહ્યું કે શું બાકીના દબાણો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેશે.