![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/200IMG_20200216_121249-rotated.jpg)
અંબાજીમાં આદિવાસી સમાજના ઐતિહાસિક સમુહલગ્ન યોજાયા
રખેવાળ ન્યુઝ અંબાજી : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના સાંનિધ્યમાં અનેક શુભ પ્રસંગો અને કાર્યક્રમો યોજાતા હોય છે. આજે પણ સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી-ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના લગ્નમા પ્રખ્યાત સંત એવા મુકતાનંદજી મહારાજ, વાવ સ્ટેટના રાજવી ગજેન્દ્રસિંહજી અને પોસીના સહીતના વિવિધ રાજવીઓની હાજરીમા સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમિતી આયોજીત ૧૦૦૮ વિશેષ સમૃદ્ધ વિવાહનું આયોજન રવિવારે અંબાજી જીએમડીસી મેદાન ખાતે યોજાયુ હતુ. આજના લગ્ન હિન્દુ સંસ્કૃતિથી કરવામાં આવ્યા હતા. અંબાજીમાં આજે વહેલી સવારથી જ લગ્નમા હાજરી આપવા માટે આદિવાસીઓનું મહાકુંભ ઉમટી પડ્યું હતું. સવારે જુની કોલેજથી લગ્ન કરનાર ૮૦૨ દંપતીઓની શોભાયાત્રા કાઢવામા આવી હતી.
આજે અંબાજી જીએમડીસી મેદાન ખાતે શોભાયાત્રા આવ્યા બાદ બ્રાહ્મણ પંડિતો દ્વારા ૮૦૨ વરવધુના લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી થયા હતા. આજે વિવિધ સમાજના આગેવાનો, દાન આપનારા દાતાઓનું અને રાજવી પરીવારનું સન્માન કરવામા આવ્યુ હતુ. દાતાઓ દ્વારા તમામ માટે ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. આજે દાતાઓ તરફથી દાન પણ મોટી સંખ્યામાં આવ્યુ હતું. મુક્તાનંદજી મહારાજ એ કોઈપણ લોભ લાલચમાં આવીને પોતાનો ધર્મ ન છોડવા જણાવ્યું હતું. પોતાના સમાજ અને દેશ માટે એક થઇ કામ કરવા જણાવ્યું હતું. સમાજના અગ્રણીઓ અને શ્રીમંતોને સામાજિક કાર્યોમાં દાન આપવાની પણ અપીલ કરી હતી.
આ સમૃદ્ધ વિવાહમાં આદિવાસી સમાજના ગેમાજી, લીંબારામ ડૂંગાઇચા, રાવતાજી પરમાર જેવા અગ્રણીઓ, અંબાજીના સામાજિક આગેવાનો, વાવ સ્ટેટના રાજવી ગજેન્દ્રસિંહજી, પોશીના સ્ટેટના રાજવી તથા અન્ય સ્ટેટના રાજવીઓ પણ હાજર રહ્યા હતા. ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદજી મહારાજની ખાસ હાજરી રહી હતી. દાનદાતાઓએ પણ દિલથી દાન આપ્યું હતું. અંબાજીના હાજર પત્રકારોનું સંમ્માન કરવામાં આવ્યુ હતું