બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
કાયદો અને વ્યવસ્થા તથા સુખાકારી સગવડો હેતુ મળેલ સત્તાઓ અન્વયે તથા માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા પોલીસ અધિક્ષક બનાસકાંઠાના અભિપ્રાયના આધારે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા અગત્યનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અન્વયે ઈકબાલગઢ-ખારા રસ્તો કીમી ૦/૦ થી ૧૩/૪૦૦ ની ચે.૧.૭૩૮ થી ૨/૦૯૦ પર બનાસ નદી ઉપર આવેલ પુલ માટે ટેકનીકલ અભિપ્રાય લેવો જરૂરી હોવાથી જ્યાં સુધી તજજ્ઞ કન્સલ્ટન્ટનો ટેકનિકલ અભિપ્રાય ન આવે ત્યાં સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરાયો છે.
> ઇકબાલગઢ થી ખારા તરફ જતા ભારે વાહનોને હવે થી ઈકબાલગઢ થી નેશનલ હાઇવે ઉપર થઈ સરોત્રા થી ઘાંટા થી બાલુન્દ્રા થઈ ખારા તરફ જવાનું રહેશે.
> ખારા તરફથી ઈકબાલગઢ તરફ જતા ભારે વાહનોને હવેથી બાલુન્દ્રા ત્રણ રસ્તા થી ઘાંટા થઈ સરોત્રા થી નેશનલ હાઇવે ઉપર થઈ ઈકબાલગઢ તરફ જવાનું રહેશે.
> રાજસ્થાન તરફથી તેમજ કપાસીયા થી આવતા ભારે વાહનોને હવેથી કપાસિયા થી ઘાંટા થઈ સરોત્રા થઈ નેશનલ હાઇવે ઉપર થઈ ઈકબાલગઢ તરફ જવાનું રહેશે.
> ઇકબાલ ગઢ થી કપાસિયા થઈ રાજસ્થાન જતા વાહનોને હવે થી ઇકબાલગઢ થી નેશનલ હાઇવે થી ઘાટા કપાસીયા થઈ રાજસ્થાન જવાનું રહેશે
આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.

