કેમ્પ થકી કુલ ૬૪ વડીલોએ સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો: પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની છે. આ યોજનામાં કોઈપણ આવક મર્યાદા વગર ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ૧૦ લાખ સુધીની આરોગ્ય સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર પણ કટિબદ્ધ છે.
આ કેમ્પ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આ યોજના વડીલો માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ કેમ્પ થકી કુલ ૬૪ વડીલોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. વૃદ્ધો ધક્કા ના ખાય એ માટે ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિસ્તારના તમામ વડીલો માટે આયોજન કરાયું હતું.