![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/09-19.jpg)
અરવલ્લી જિલ્લામાં મકાઈ, દિવેલા, બટાકા અને ચણાનો પાક નિષ્ફળ
ખેડૂતને માથે હંમેશા નુકશાન જાણે પર્યાય બની ગયો હોય એમ માંડ મહેનત કરીને પાક તૈયાર કરે ત્યારે અણીના સમયે કોઈને કોઈ નિમિત્તે પાક નિષ્ફળ જતો હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખેડૂતોનો ખેતરમાં તૈયાર પાક નિષ્ફળ ગયો છે.ગત રોજ આવેલા કમોસમી વરસાદ ખેડૂતો માટે વિલન સાબિત થયો છે. જિલ્લામાં સરેરાશ બે ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેથી મુખ્યત્વે મકાઈ દિવેલા ચણા અને બટાકાના વાવેતર નિષ્ફળ ગયા છે. જિલ્લામાં દસ હજાર હેક્ટરમાં દિવેલા, મકાઈ 5 હજાર હેક્ટર માં બટાકાનું પણ ખેડૂતોએ બમ્પર વાવેતર કર્યું છે. ત્યારે અચાનક માવઠું થવાથી ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યાં છે.
સામાન્ય રીતે દિવેલામાં વીધે 10 મણનો ઉતારો હોય છે એટલે દિવેલાના પાકમાં લાખોનું નુકશાન ગયું છે. જ્યારે મકાઈનો પણ તૈયાર પાક પડી ગયો છે. બટાકા વાવેતર કરી પાળા તૈયાર કર્યા અને માવઠું થયું. જેથી હવે બટાકા ઉગવા ની કોઈ શકયતા નથી એટલે 2000 હેક્ટર જમીનમાં બટાકા નિષ્ફળ ગયા છે. ત્યારે ખેડૂતો એ ખેતીપાકમાં ગયેલ નુકશાનીનું યોગ્ય વળતર મળે એવી માગ કરી છે.