![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/26-10.jpg)
શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી
સમગ્ર દેશમાં આજે ભગવાન વિષ્ણુના તુલસીજી સાથેના લગ્ન નીમિત્તે તુલસી વિવાહ મનોરથ ઉજવાઈ રહ્યો છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ ભગવાન શામળિયાના ધામમાં તુલસી વિવાહની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે.આજે કારતક સુદ અગિયારસનો દિવસ એટલે ભગવાન વિષ્ણુ શયનમાંથી જાગૃત અવસ્થામાં આવ્યા છે અને ભગવાનના તુલસીજી સાથે લગ્ન થયા હતા. તેની યાદમાં આજે યાત્રાધામ શામળાજીમાં ભવ્ય તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરવામાં આવી ભગવાન વિષ્ણુની ખાસ તૈયાર કરેલા રથમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં અલગ અલગ ધાર્મિક પાત્રો સહિતની વેશભૂષા બેન્ડવાજા સહિત ભક્તો નાચતા કુંદતા શોભાયાત્રામાં જોડાયા. મંદીર પરિસરમાં ભગવાનના લગ્ન માટે ફૂલોથી શણગારેલા લગ્નચોરીમાં ભગવાનના લગ્નનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ગર્ભગૃહમાં ઉમટી પડ્યા છે. ભગવાન કાળિયા ઠાકરને પણ અનોખો શણગાર કરાયો છે. ભગવાનના સ્વરૂપને સુવર્ણ જડિત મૂગટ, હીરાજડિત સોનાનો હાર સહિતના અલંકારો અર્પણ કરાયા. મંદિરના ગર્ભગૃહમાં પણ અનોખી રોશની સહિત કેળના પાનનો શણગાર કરાયો છે. આમ ભવ્ય રીતે ભગવાન શામળિયાના ધામમાં તુલસી વિવાહની ઉજવણી થઈ રહી છે.