બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરો અને રોગચાળાની ભીતિ
કોઈપણ શહેર હોય કે ગામડું વીજળી, પાણી, સફાઈ અને ગટર લાઇનની સુવિધા અને જાળવણી સ્થાનિક ગ્રામ પંચાયત કે નગરપંચાયત દ્વારા કરવાની હોય છે. ત્યારે મેઘરજ ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરો અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.
મેઘરજ રોડના રામનગર વિસ્તારમાં છેલ્લા છ માસથી ગટરલાઇનમાં ભારે લિકેજ સર્જાયું છે. જેના કારણે અવરજવરના જાહેર રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. જાહેર રસ્તો હોવાથી રોજના હજારો લોકોની અવરજવર રહેતી હોય છે, ભરાઈ રહેલા ગંદા પાણીના કારણે મચ્છરો પેદા થાય છે. જેથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે છે. સ્થાનિક રહીશોએ અનેક વખત ગ્રામપંચાયતમાં રજૂઆત કરી છે પણ તંત્ર રહીશોની રજૂઆત ધ્યાને લેતું નથી. ત્યારે મેઘરજના રામનગર વિસ્તારમાં આવેલા લિકેજ ગટર લાઇન ઝડપથી રીપેર કરવામાં આવે એવી માગ છે.