પાટણ શહેરમાં દશેરાના પવિત્ર દિવસે વિવિધ સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ અને રાજપૂત સમાજ દ્વારા સશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયા દશમીના પર્વ-ને લઇ પાટણ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત સશસ્ત્ર પૂજનના આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો સહિત યુવાનોએ મોટી સંખ્યામાં રાજપૂત સમાજની હોસ્ટેલ ખાતે ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર વચ્ચે સશસ્ત્ર પુજન કયુઁ હતું. પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ વિજયા દશમીના પર્વની ઉજવણી શહેરના બગવાડા દરવાજા, જુનાગંજ બજાર, કેદારેશ્વર મહાદેવ અને રાધનપુરી વાસમાં સશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત સશસ્ત્ર પૂજનનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ,પાટણજિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર અધ્યક્ષ જગદીશ ઠકકર (જે. ડી.જલારામ), નગર મંત્રી રાકેશ પટ્ટણી, બજરંગ દળ નગર સંયોજક મેહુલ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

