8 ગાડીમાં 20 શખસ ધારીયા તલવાર સાથે ત્રાટક્યા, 112 જનરક્ષક વાનને પણ નુકસાન પહોચાડ્યું
પોલીસે ફરિયાદ દાખલ કરી એક ગાડી સાથે 3 આરોપીને ડિટેઈન કર્યા
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે સોમવારે રાત્રે રામાધણી ફાર્મ હાઉસ પર 20 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ચાણસ્મા પોલીસ મથકે જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ છે. તેના આધારે પોલીસે 3 શખસ અને એક ગાડીને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ મંદિરના ફાળા ઉઘરાવવા મુદ્દે મનદુઃખના કારણે આખો બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે. ઝીલીયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી છે કે ગત 15 માર્ચ, 2026 ના રોજ રાત્રિના આશરે 11:45 વાગ્યે જ્યારે ફરિયાદી મહેસાણા હતા, ત્યારે તેમના ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી.
માણસે જણાવ્યું કે કેટલાક ઈસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે. આ ઘટનાની જાણ 112 પોલીસ વાનને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસની હાજરી છતાં હુમલાખોરો તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા. બીજે દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈને જોતા ગેટ અને દીવાલ પરની ડિઝાઇનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. ગેટ પર લગાવેલ ગંગામાનો કાચની ફ્રેમવાળો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો.ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે, આશરે 8 જેટલી ગાડીઓમાં 15 થી 20 જેટલા ઈસમો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા.
આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી હથિયારો વડે તોડફોડ કરી હતી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી. CCTV ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠાવાળો ખોટી રીતે બદનામ કરતો હોવાથી રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2026ના રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે તેમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક ઈસમો હુમલો કરવા માટે આવનાર છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112 ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઈસમો મળી આવેલા નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો.આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઈસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે પથ્થરમારો ચાલુ કરી દીધેલ હતો. અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા.
આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા, એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો. અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે એ ઘટનાસ્થળ ઉપર આ જે ઈસમો હતા એ મળી આવેલા નહોતા. પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઈસમો હતા એમાંથી ૩ ઈસમોને ડીટેઈન કરેલા છે, એક ગાડી પણ ડીટેઈન કરેલી છે. અને આ સમગ્ર ઘટના બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ ૩ નામ જોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને જી.પી. એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી, ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ‘ફરજ રુકાવટ’નો ઓફેન્સ પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 FIR કરવામાં આવી છે. એક FIR છે જે ફાર્મ હાઉસના માલિક છે, ભાવેશભાઈ દેસાઈ એમણે આપી છે અને બીજી FIR છે જે 112ના ઇન્ચાર્જ છે એમણે આપેલી છે.
વધુમાં જણાવ્યું હતું કે ઝઘડો છે અથવા જે પણ આ ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ઝિલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે. અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એમની વચ્ચે જે મનદુઃખ થયેલું, બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી હતી. હાલમાં ઝિલીયા ખાતેના રામાધણી ફામૅ હાઉસ સહિતના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


