અમેરિકાએ અત્યાર સુધીમાં 2025 માં એટલે કે 7 મહિનામાં દેશમાંથી કુલ 1,703 ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા છે, જેમાં 141 મહિલાઓનો સમાવેશ થાય છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે શુક્રવારે લોકસભામાં આ માહિતી આપી.
સિંહે કહ્યું કે 2020 થી 2024ની વચ્ચે 5,541 ભારતીયોને અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. આ વર્ષે (22 જુલાઈ) 2025 સુધી અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 1,703 છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષ (૨૦૨૦-૨૦૨૪) માં બ્રિટનમાંથી ૩૧૧ ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૫માં અત્યાર સુધીમાં આ સંખ્યા ૧૩૧ છે.સમાચાર એજન્સી અનુસાર સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, બ્રિટનમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં થોડો તફાવત હોઈ શકે છે કારણ કે કેટલાક કિસ્સાઓમાં માન્ય દસ્તાવેજો ધરાવતા લોકોને સીધા જ દેશનિકાલ કરવામાં આવે છે અને જેમને ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ (ETD) જારી કરવામાં આવ્યા હતા તે બધાનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે ઘણી વખત વ્યક્તિ અપીલ ફાઇલ કરે છે.
સરકારી આંકડા અનુસાર, 1703માંથી મહત્તમ 620 લોકો પંજાબના છે. આ પછી, હરિયાણામાંથી 604, ગુજરાતમાંથી 245 અને જમ્મુ અને કાશ્મીરમાંથી 10 લોકોને અમેરિકા દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 6 લોકોની રાજ્યોની ઓળખ જાણી શકાઈ નથી. કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીથી 22 જુલાઈ, 2025 દરમિયાન અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 1,703 ભારતીયોમાંથી 1,562 પુરુષો અને 141 મહિલાઓ હતી. સરકારે અમેરિકા દ્વારા દેશનિકાલ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ વિશે પણ માહિતી આપી. મંત્રીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં 333 ભારતીયોને યુએસ લશ્કરી વિમાન દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. માર્ચમાં, 231 લોકોને યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના ચાર્ટર્ડ વિમાનો દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં 300 ભારતીયોને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) ના ચાર્ટર્ડ વિમાનો દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા.

