અત્યાધુનિક ડેટા સેન્ટર અને ઓફિસિયલ વેબસાઇટની સાથે ભક્તો માટે ખાસ ‘અંબાજી મંદિર ઓફિસિયલ એપ‘ પણ લોન્ચ
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાંતા, હડાદ અને અમીરગઢ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત બાળાઓના કલ્યાણ માટે ‘માતૃશક્તિ પોષણ કીટ’ અને ‘શ્રી શક્તિ વધામણ કીટ’ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લોક કલ્યાણકારી અભિયાન અંતર્ગત 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2017 દરમિયાન અંદાજે 12000 સગર્ભા માતાઓને પોષણક્ષમ આહારની કીટ અને 6000 નવજાત દીકરીઓને માતાજીના પ્રસાદરૂપે વધામણા કીટ અર્પણ કરવામાં આવશે. કુલ 18000 કીટોના વિતરણ દ્વારા માતા અને શિશુના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તેમજ દીકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવીને સમાજમાં હકારાત્મક સંદેશ આપવાનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
જે અંતર્ગત આજે દાંતા, અમીરગઢ અને હડાદ ગામની 100 જેટલા લાભાર્થીઓ ને જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ડીડીઓ અને વહીવટદાર કૌશિક મોદી તેમજ સરપંચ કલ્પના બેન દવેના હસ્તે કીટોનુ વિતરણ કરી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. એટલું જ નહિ,
સામાજિક સેવાઓની સાથે અંબાજી મંદિર હવે ડિજિટલ ક્ષેત્રે પણ આધુનિક બન્યું છે, જેના ભાગરૂપે મંદિરની તમામ પ્રવૃત્તિઓને સેન્ટ્રલાઇઝડ કરી ઓનલાઇન પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. અત્યાધુનિક ડેટા સેન્ટર અને ઓફિસિયલ વેબસાઇટની સાથે ભક્તો માટે ખાસ ‘અંબાજી મંદિર ઓફિસિયલ એપ’ પણ લોન્ચ કરવામાં આવી છે. આ ડિજિટલ પહેલના માધ્યમથી વિશ્વભરના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન, મંદિરની સેવાઓ અને વિવિધ પ્રકલ્પોની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે, જેનાથી મંદિર અને ભક્તો વચ્ચેનું અંતર ઘટશે. તેમ જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું.


