શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા માં જગતજનની અંબાના ધામમાં વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી થઈ. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા હતા. મુખ્ય પૂજારી ભટજી મહારાજે મંગળા આરતી કરી. આદિવાસી સમાજના લોકો ઢોલ સાથે મંદિરે પહોંચ્યા હતા. ‘બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગ્રીષ્મ ઋતુ દરમિયાન માતાજીની ત્રણ વાર આરતી અને શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત છે. દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી પગપાળા સંઘ સાથે આવે છે. આજે વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં આખો દિવસ ભક્તિમય માહોલ રહ્યો હતો. અહીં આવતા ભક્તો માં જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. જે ભક્તિભાવનું અનોખું ઉદાહરણ છે.