જૂન મહિનામાં અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં પાઈલટ-ઈન-કમાન્ડ રહેલા સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે. સભરવાલે એર ઈન્ડિયા બોઈંગ 787-8 ડ્રીમલાઈનર દુર્ઘટનાની નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ નિષ્પક્ષ, પારદર્શક અને તકનીકી રીતે યોગ્ય તપાસની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ અકસ્માત થયો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તમારે (પિતા) એ બોજ સહન ન કરવો જોઈએ કે તમારા પુત્રને દોષી ઠેરવવામાં આવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ તેને (પાઈલટને) કોઈ પણ વસ્તુ માટે દોષી ઠેરવી શકે નહીં.” ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું, “ભારતમાં કોઈ એવું માનતું નથી કે તે પાઈલટની ભૂલ હતી.”
ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે આ કેસની સુનાવણી કરી. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું, “હું તે વિમાનના કમાન્ડરનો પિતા છું. હું 91 વર્ષનો છું. આ તપાસ સ્વતંત્ર નથી, જેટલી થવી જોઈતી હતી. ચાર મહિના વીતી ગયા છે.” ન્યાયાધીશ કાંતે કહ્યું કે આનાથી સંબંધિત બીજો કેસ છે. અમે 10મી તારીખે તેની સાથે સુનાવણી કરીશું. વકીલે કહ્યું કે વિશ્વભરમાં બોઇંગ વિમાનમાં સમસ્યાઓની જાણ થઈ રહી છે. નિયમ 12 મુજબ, તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ. અમારો કેસ અકસ્માત છે, ઘટના નથી.
ન્યાયાધીશ કાંતે કહ્યું કે અકસ્માત અત્યંત દુ:ખદ હતો, પરંતુ પાઇલટના પિતાએ તેમના પુત્રને દોષી ઠેરવવાનો બોજ ઉઠાવવો ન જોઈએ. કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં. ન્યાયાધીશ બાગચીએ નોંધ્યું કે પ્રારંભિક અહેવાલમાં પાઇલટ પર કોઈ આરોપ કે સંદર્ભ આપવામાં આવ્યો નથી. એક પાઇલટે પૂછ્યું હતું, “શું બીજાએ બળતણ કાપી નાખ્યું?” જવાબ “ના” હતો.
અરજદારના વકીલ ગોપાલે ધ્યાન દોર્યું કે વોલ સ્ટ્રીટ જર્નલે આ બાબતે એક લેખ લખ્યો હતો, જેમાં પાઇલટની ભૂલનો આરોપ લગાવ્યો હતો. ન્યાયાધીશ બાગચીએ જવાબ આપ્યો, “અમે વિદેશી અહેવાલો પર ધ્યાન આપતા નથી. જો તમને કોઈ સમસ્યા હોય, તો તેનો ઉપાય (વિદેશી અદાલતોમાં) ત્યાં જ રહેલો છે.” દરમિયાન, ન્યાયાધીશ કાંતે તેને “ખૂબ જ ખરાબ અહેવાલ” ગણાવ્યો. વકીલે ટિપ્પણી કરી, “મારા માટે એ મહત્વનું છે કે તેઓ ભારતીય સરકારી સૂત્રોનો ઉલ્લેખ કરી રહ્યા છે.” ન્યાયાધીશ કાંતે વળતો જવાબ આપ્યો, “ભારતમાં કોઈ માનતું નથી કે આ અકસ્માતમાં પાઇલટ દોષિત હતો.”

