અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ પણ કાળનો કોળિયો બન્યું હતું. ત્યારે આજે પાલનપુરના મૃતક રમેશ ભાઈ ઠક્કરના મૃતદેહને આજે પાલનપુર લવાયો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક મુસાફરને બાદ કરતાં તમામ યાત્રિકો મોતને ભેટ્યા હતા. જેમાં પાલનપુરનું ઠક્કર દંપતિ પણ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલનપુરના લાભુબેન અને રમેશભાઈ ઠક્કર પણ પોતાના દિકરાને મળવા લંડન જઇ રહ્યા હતા. જોકે, પ્લેન ક્રેશ થતા તેઓ પણ કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે મૃતક રમેશ ભાઈ ઠક્કરનો મૃતદેહ આજે પાલનપુરની લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસ્થાને લવાયો હતો.
જોકે, લાભુબેન ઠક્કરના ડીએનએ મેચ ન થતા તેમનો મૃતદેહ હજી સોંપાયો નથી. ત્યારે મૃતકના સ્વજન ભગવાનદાસ બંધુએ દુઃખની ઘડીમાં સાથ આપનાર પાલનપુરવાસીઓ સહિત સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. મૃતકની અંતિમ વિધિ ટાણે જિલ્લા કલેકટર મિહિર પટેલ, પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ નાગજી ભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિતના અગ્રણી ઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પી હતી. મૃતકની અંતિમ યાત્રામાં સગા સંબંધી સહિત પાલનપુરના નાગરિકોએ જોડાઈને મૃતકને અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

