અન્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અપનાવવા હાકલ
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામના પ્રગતિશીલ ખેડૂતે ત્રણ વીઘાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજીનું વાવેતર કરી નવતર પહેલ કરી છે. જેમના ફાર્મની આજે મંગળવારે આત્મા યોજનાના એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજર ભરતભાઇ શ્રીમાળી અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ભાવેશભાઈ આંટીયા તેમજ હાર્દિકભાઈ પટેલે મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા અને અન્ય ખેડૂતોને મોડેલ ફાર્મ અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ઉતપન્ન થતી શાકભાજી ધીમું ઝેર છે. જેનાથી અવનવા રોગ વધ્યા છે.તેથી સરકારે ખેડૂતો પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતી અપનાવે તે માટે વિશેષ અભિયાન છેડયું છે. જેને લઈ ગેળા ગામના પ્રગતિશીલ ખેડૂત પદ્માભાઈ પાંચાભાઈ પટેલે સફળ સેલિબ્રિટી ખેડૂત કનવરજી વાધણીયા પરિવાર દ્વારા કરવામાં આવતી ઓર્ગેનિક ખેતીની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.અને તેમની પ્રેરણાથી પોતાના ત્રણ વિઘા ખેતરમાં ચોળી, તુરીયા, ભીંડી, કાકડી અને લીલા મરચાં જેવા શાકભાજી પાક ઉગાડ્યા છે. આ માટે તેમણે કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી, પરંતુ માત્ર ઓર્ગેનિક ખાતર અને દવાનો જ ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાવાળો પાક તૈયાર કર્યો છે. હાલમાં ખેતરમાં પાકની સ્થિતિ ખૂબ જ સારી છે.તેથી તેમને સારી કમાણી થવાની આશા છે. આજે ઓર્ગેનિક ખેતીના નિષ્ણાતો પણ તેમની ખેતીથી પ્રભાવિત થઈ અન્ય ખેડૂતોને પણ ઝેર મુક્ત ઓર્ગેનિક ખેતી અપનાવવા હાકલ કરી હતી.

