બનાસકાંઠા જિલ્લામાં પાત્રતા ન ધરાવતા ૬૩૨૭ રેશનકાર્ડ નોન એન.એસ.એફ.એમાં તબદીલ કરાયા; કેન્દ્ર સરકાર દ્વારા માહે-જુલાઈ ૨૦૨૫માં શંકાસ્પદ એન.એસ.એફ.એ રેશનકાર્ડ ધારકોનો ઓનલાઈન ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તે અનુસાર બનાસકાંઠા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાલુકા કક્ષાએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠામાં તાલુકા કક્ષાએથી સી.બી.ડી.ટી. ડેટા મુજબ રૂ.૬ લાખથી વધુનું ઇનકમટેક્ષ રીટર્ન ભરતાં હોય અને રૂ.૨૫ લાખથી વધુનું જી.એસ.ટી. ટર્નઓવર ધરાવતાં તથા મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની યાદીમાં નોંધાયેલા કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નોંધાયેલા કુલ ૬૩૨૭ પાત્રતા ન ધરાવતા એન.એસ.એફ.એ રેશનકાર્ડને નોન એન.એસ.એફ.એ રેશનકાર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે.
આ સિવાય કુલ ૪૧૦૫૮ સભ્યોનું ઓનલાઈન વેરીફીકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે તથા વધુ ડેટાની ચકાસણી હાલમાં ચાલુ છે. તેમજ પી.એમ.કિસાન નિધિનો લાભ મેળવનાર રેશનકાર્ડ ધારકોના ડેટાની પણ તપાસ ચાલુ છે. જે સરકારની વિનામૂલ્યે અનાજ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના રેશનકાર્ડ પણ નોન એન.એફ.એસ.એમાં તબદીલ કરવામાં આવશે. આર્થિક રીતે સુખી-સંપન્ન પરિવારોને સ્વૈચ્છિક રીતે મામલતદાર કચેરીનો સંપર્ક કરીને તેમના રેશનકાર્ડ નોન એન.એફ.એસ.એ કરાવવાની અપીલ જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

