પાટણ સરસ્વતી તાલુકાના ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિર્તીભાઈએ ચેક રિટર્ન કેસમાં મંગળવારે પાટણની જયુડિસીયલ કોર્ટમાં જાતે હાજર રહી મેજિસ્ટ્રેટ સમક્ષ સરેન્ડર કરતા મેજિસ્ટ્રેટ તેમને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે ૨૬ માર્ચ ૨૦૨૫ ના રોજ કિર્તીભાઈને બે વર્ષની સાદી કેદ અને બે લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો હુકમ આપ્યો હતો અને ચુકવણી માટે બે માસનો સમય આપ્યો હતો. સાથે જ સજા વોરંટ પણ ઈસ્યુ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
કેસની મળતી વિગતો મુજબ શિક્ષક કિર્તીભાઈ અને ફરિયાદી પિયુષભાઈની ઓળખ તેમની પત્ની દ્વારા થઈ હતી. પિયુષભાઈની પત્નિ લખાપુર પરા,વારાહી તાલુકામાં શિક્ષિકા છે. બંને શિક્ષકો એક જ સેન્ટરમાં નોકરી કરતા હોવાથી પરિચય થયો હતો. કિર્તીભાઈના પુત્ર બીએએમએસ અને પુત્રી ડેન્ટલમાં અભ્યાસ કરતી હોવાથી તેમને રૂ.૨ લાખની જરૂર હોઈ પિયુષભાઈએ તેઓને આ રૂપિયા ઉછીના આપ્યા હતા.અને તેના બદલામાં પિયુષભાઈ ને આપેલો ચેક ૨૦૨૨ માં બેંકમાંથી અપૂરતા બેલેન્સના કારણે રિટર્ન થયો હતો.ત્યારબાદ પિયુષભાઈએ તેમના વકીલ એમ.એ.શાહ મારફતે નોટિસ આપી હતી. છતાં પૈસા ની ચુકવણી ન થતાં પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ કોર્ટેમાં ચાલી જતાં કોર્ટે આરોપીને સજા ફટકારી હતી. ત્યારે મંગળવારે કિર્તીભાઈએ કોર્ટમાં હાજરી આપી પોતે જ સજા ભોગવવા માટે સરેન્ડર કર્યું હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.