ડીસામાં ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ માટે સામાજિક બંધારણ મહાસંમેલન યોજાયું

ડીસામાં ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ માટે સામાજિક બંધારણ મહાસંમેલન યોજાયું

રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર સામાજિક બંધારણ બનાવી સમાજને અર્પણ કરવામાં આવ્યું

સમાજના આગેવાનોએ બંધારણના પાલન સાથે  દિકરા – દિકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા આહવાન કર્યું

બનાસકાંઠા જિલ્લાની પાવન ભૂમિ એટલે કે ડીસાના સમશેરપુરા સ્થિત રબારી ગોપાલક છાત્રાલય સંચાલિત શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી તથા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા સર્વ સમાજના આગેવાનોના નેતૃત્વ હેઠળ ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણનું મહાસંમેલન યોજાયું. રબારી સમાજ કુરીવાજોમાંથી બહાર આવી ખોટા ખર્ચા અને સમયની બચત કરી શિક્ષણ તરફ આગળ વધે તે માટે બંધારણમાં પણ પરિવર્તન જરૂરી હતું. જેને લઇ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લા અને રાજસ્થાનના સાચોર રાણીવાડા જેવા વિસ્તારના રબારી સમાજના તમામ પરગણા એક સાથે એક મંચ પર મળી નવી બંધારણની રચના કરવામાં આવતા સમાજ નાતગંગાની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું હતુ.

રબારી સમાજના તમામ આગેવાનો દ્વારા ગત તા.11 જાન્યુઆરીના રોજ સમશેરપુરાથી સામાજિક બંધારણ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા 15 દિવસથી ગામે-ગામ અને ઝોનકક્ષાએ બેઠકો યોજી સુચન એકત્ર કરવામાં આવ્યા હતાં. સુચનો મેળવ્યા બાદ એક સુંદર સામાજિક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. રવિવારે રબારી સમાજના બન્ને મોભી આગેવાન માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈ દેસાઈ તેમજ સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, ભોજન દાતા ડી.કે.દેસાઈ (દામા) અને રાણીવાડાના ધારાસભ્ય રતનજી દેવાસી સહિત રબારી સમાજના અનેક આગેવાનો વડીલો યુવાનો મહિલાઓ અને દિકરા-દિકરીઓની  વિશેષ ઉપસ્થિતિમાં સામાજિક બંધારણ રબારી સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ અંગે ધારાસભ્ય અને રબારી સમાજના ભામાશા માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે સામાજિક બંધારણ થકી અનેક પરીવારોની આશા અપેક્ષાઓ વધી જવા પામી છે. કુરીવાજો પાછળ થતો ખોટો ખર્ચ અટકાવીને બચત કરેલા નાણાં રબારી સમાજના દિકરા દિકરીઓના શિક્ષણ માટે વાપરતા સમાજના હજારો પરિવારોનું જીવન ધોરણ બદલાશે. સામાજિક રિવાજોમાં પરિવર્તન ખોટા ખર્ચાઓના દેવાના ડુંગરોને દૂર કરી શિક્ષાની ડિગ્રીઓ નવા સમાજનું નિર્માણ કરશે. આ બંધારણનો અમલથી સમાજમાં શિક્ષણ તરફની રાહ નવી સામાજિક ક્રાંતિનું પરિવર્તન લાવશે. કુરિવાજોના અંધકારથી શિક્ષણના અજવાળા તરફ રબારી સમાજની ઐતિહાસિક પહેલ છે. સમાજનો એક જ સુર પ્રગતિના નવા યુગનો આરંભ પ્રારંભ કરાવશે.

આ અંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઇ રબારી એ પણ સમયની સાથે સમાજને તાલ મિલાવવા માટે બંધારણમાં કેટલાક કુરિવાજો હતા તેને નાબૂદ કરી નવું બંધારણ સમાજ માટે મૂક્યું છે સમાજની નવી પેઢીને પ્રેરણા મળે તેવું આ બંધારણ બનાવ્યું છે  તેનું દરેક લોકોએ પાલન કરવા માટે જણાવ્યું હતું. આ સામાજિક બંધારણ ના મહા સંમેલન ને સફળ બનાવવા માટે શિક્ષકોની ટીમ ડોક્ટરોની ટીમ તથા સમગ્ર‌ યુવા ટીમે  દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવવામાં આવી હતી

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *