પદ્મનાભ મંદિર વાડી પરિસરમાં સફાઈ કામગીરી સાથે મંદિરોની પક્ષાલન વિધિ હાથ ધરાઈ
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની આગામી તારીખ 26 જાન્યુઆરીને સોમવારના પવિત્ર દિવસે સવારે 11:00 કલાકે ભક્તિમય માહોલ વચ્ચે પરિક્રમા યોજનાર હોય જેને લઈને શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ દ્વારા ભગવાનની વાડી પરિસરની સફાઈ કામગીરી તેમજ દરેક મંદિરોની પક્ષાલન વિધિ કરવામાં આવી રહી છે.
ત્યારે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની પરિક્રમાના પાવન પર્વ પ્રસંગ દરમિયાન દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદીર તરફના બુકડી, મીરા દરવાજા, અગાસીયાવીર, પદ્મનાભ ચારરસ્તાથી મંદિર સુધીના માર્ગની સફાઈ કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લેખિત રજૂઆત સમાજના મહિલા કોર્પોરેટર પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી કરવામાં આવી છે.


