મુસ્લિમ બિરાદરો ઠેર-ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કર્યું; પાટણ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન ઇદે મિલાદુન્નબીની શુક્રવારે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મસ્જિદોમાં સલાતો-સલામ અને મિલાદ શરીફનો ગુંજરાવ થયો હતો. શહેરના ઇકબાલચોક યંગ કમિટી દ્વારા આયોજિત જુલુસમાં બોકરવાડા, ટાંકવાડા અને કાજીવાડાના જૂલુસ પણ જોડાયા હતા. જુલુસ ટાંકવાડા ચાર રસ્તા, મુલ્લાવાડ, લોટેશ્વર ચોક, પીંડારીયાવાડા,પીંજારકોટ, હજરત ગંજશહીદપીરની દરગાહ, બુકડી અને પાંચપાડા માર્ગે ફર્યું હતું.જુલુસમાં ગુબદેખિજરા અને મસ્જિદે નબવીની પ્રતિકૃતિઓ સામેલ હતી.
નાના બાળકો ઊંટલારીઓ પર સવાર થઈ ઝંડા ફરકાવતા જોવા મળ્યા હતા. માર્ગ પર ઠેર-ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરાયું હતું. હિન્દુ-મુસ્લિમ અંકિદતમંદોએ ગુંબદે ખિજરા પર પુષ્પવર્ષા કરી હતી. દાઉદ કાઝીએ ઇદે મિલાદુન્નબીના જૂલુસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે દરેક મુસ્લિમ બિરાદરને જોડાવા આહ્વાન કર્યું.કાર્યક્રમના અંતે મૌલાના જલાલુદ્દીન હસ્મતીએ સૌ મુસ્લિમ બિરાદરો ને દુઆ કરાવી હતી.

