યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. શનિવારે પાટણ શહેરના સૂર્યનગર ભીલવાસ ખાતે બિરસા મુંડાની પ્રતિમાથી આદિવાસી સમાજની શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનો જોડાયા હતા.
શોભાયાત્રા બિરસા મુંડા ચોકથી પ્રસ્થાન કરી પીપળા ગેટ,ભીલવાસ, ફૂલબજાર, હિંગળા ચાચળ ચોક, બગવાડા દરવાજા, બસ સ્ટેશન, જયવીર નગર રોડ અને પારેવા સર્કલ થઈને પુનઃ સૂર્યનગર ભીલવાસ બિરસા મુંડા ચોક ખાતે સમાપન થઈ હતી. આદિવાસી ભીલ સમાજના લોકોએ પોતાના પરંપરાગત આદિવાસી સ્વાંગમાં સજ્જ થઈ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. તેઓએ વિવિધ આદિવાસી વેશભૂષા અને નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. શોભાયાત્રામાં તીર-કામઠા સાથે ‘વૃક્ષો બચાવો’, ‘પ્રકૃતિ બચાવો’, ‘પાણી બચાવો’ અને ‘સ્વચ્છતા અભિયાન’ના સંદેશ આપતા ટેબલો પણ સામેલ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ભારતમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજે ‘એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાન’ના સૂત્ર સાથે આ દિવસની ઉજવણી કરી હતી. શહેરના રાજમાર્ગ પરથી નીકળેલી આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનોએ જોડાઈ આદિવાસી દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.


