શાળા,કોલેજો,સ્થાનિક સંસ્થાઓ અને નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત થશે; રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” અંતર્ગત તા. ૧૫ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લામાં આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તેવા હેતુથી જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરે હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં તમામ તાલુકાઓ અને ગ્રામ્ય કક્ષાએ રંગોળી સ્પર્ધા, રેલી, સેલ્ફી વીથ તિરંગા જેવા કાર્યક્રમો યોજી મહત્તમ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને તે મુજબનું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં સેલ્ફી વીથ તિરંગા, જિલ્લા અને તાલુકા કક્ષાની તિરંગા યાત્રા, જિલ્લાની વિવિધ શાળાઓમાં રંગોળી સ્પર્ધા તેમજ રાખી મેકિંગ સ્પર્ધા ઉપરાંત તિરંગા સાથે સેલ્ફી લઈ mygov પોર્ટલ પર અપલોડ કરવા, સ્વચ્છતા અંગેની કામગીરી, ધ્વજ વિતરણ, સ્વચ્છતા ઝુંબેશ, સોશિયલ મીડિયા ઝુંબેશ સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
નોંધનીય છે કે, હર ઘર તિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓ, નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. યુવાનોને તિરંગા સાથે સેલ્ફી લેવા અને તેના અપલોડ કરવા પ્રોત્સાહિત કરાશે, સરકારી કચેરીઓ અને શાળામાં ધ્વજવંદન સમારોહનું આયોજન કરાશે. શાળાઓ અને જાહેર સ્થળોને સજાવાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ તાલુકાઓ અને નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં.

