આગામી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૫ તા.૯-૨-૨૦૨૫ થી તા.૧૧-૨-૨૦૨૫ સુધી યોજાનાર છે. અંબાજીના ગબ્બર ખાતે મૂળ ૫૧ શક્તિપીઠના મંદિરોની આબેહુબ પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે. આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે.
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિમિત્તે આજરોજ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના સ્ટાફ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યોજાનાર વિવિધ યાત્રાઓ જેવી કે, પાલખી યાત્રા, ધંટીયાત્રા, ચામર યાત્રા, ત્રિશુલ યાત્રા, મહાશક્તિ યજ્ઞ વગેરે યોજાનાર છે. દૈનિક લગભગ ૫૦૦ જેટલી બસો બનાસકાંઠા ઉપરાંત વિવિધ જીલ્લાઓમાંથી આવનાર છે. આવનાર તમામ યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટ ધ્વારા વિનામૂલ્યે ભોજન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે.
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત હંગામી પાર્કિંગ, લાઈટીંગ, સાંકૃતિક કાર્યક્રમ, ભજન મંડળીઓ વગેરેના આયોજન માટે આજની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,અંબાજી સર્વે માઈ ભક્તોને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રિત કરે છે.